Tuesday, August 25, 2015

લાગણીસભર સંગીત

આજના અંકની શરૂઆતમાં એક વાત કહેવાનું મન થાય છે. 
શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ અને જાણકારોને ‘તાનસેન’ કહેવાય છે! જ્યારે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં અનભિજ્ઞ એવા જિપ્સી જેવા અનેક ચાહકો છે જેમને સંગીતશાસ્ત્રનું જરા જેટલું પણ જ્ઞાન નથી, પણ સંગીત પરના પ્રેમ અને તેની ચાહતને કારણે આ દિવ્ય સરિતાના અબાધિત અને અમૃતમય આનંદનો લાભ લઈ શકતા હોય છે. સંગીતના આવા ચાહકોને ‘કાનસેન’ કહેવાય છે. તેઓ તો બસ, આંખ મિંચીને અદ્ભૂત સંગીત સાંભળતા રહે છે અને તેના શ્રવણના આનંદમાં રમમાણ થતા હોય છે.
શાસ્ત્રીય સંગીતના જાણકારો કોઈ પણ રાગ કેટલાક સૂર સાંભળીને સહજ રીતે કહી શકે છે કે તે દિવસના કયા સમયે ગાઈ શકાય, તેનો રસ કયા પ્રકારનો છે, તેમાં કયા સૂર વાદી - સંવાદી, તીવ્ર, મધ્યમ, કોમલ કે અતિ કોમલ છે. તબલાંના ક્યા તાલ ત્રિતાલ, ઝપતાલ કે કહેરવાનાં છે. જિપ્સી તો પહાડી ઠુમરી સાંભળીને કુમાયૂં કે હિમાચલના પહાડમાં વસતા લોકોઓનાં હૃદયમાંથી નીકળતી ઉર્મિઓ અનુભવે છે. ખુલ્લા મેદાનમાં  ચાલતી વખતે અચાનક વરસતી શ્રાવણની હેલીમાં મલ્હારનાં સૂર અનુભવે છે
સંગીતના કેટલાક અંગ એવાં હોય છે, જે કોઈ રાગમાં હોય કે ન હોય, જેને લોક સંગીત કહીને મોકળા થવાતું હોય છે. આવાં ગીત ગાનારાં સ્ત્રી-પુરુષો તેમાં તન્મય અને રત થઈને ગાતાં હોય છે અને તે સાંભળનારા શ્રોતાઓનાં મન ભાવનાસભર થઈ જતા હોય છે. આવાં ગીતોને લાગણી સભર સંગીત કહી આપની સમક્ષ રજુ કરવાની રજા લઈશ.
આજનું પ્રથમ ગીત છે રામદેવ પીરનો હેલો. 
જુના જમાનામાં રાવણહત્થો નામનું વાદ્ય લઈ ભજનીકો અને ભક્તો જાત્રાએ નીકળતા અને ઘેર ઘેર જઈ રામદેવ પીરનો હેલો ગાતાં. જજમાન તેમની શક્તિ પ્રમાણે તેમને સીધું કે પૈસા આપે અને યાત્રીકો તેમના ગંતવ્ય પર પ્રસ્થાન કરે. ભારતના સિને જગતના ઉમદા ગાયક મન્ના દે સાહેબને કોલકાતાના એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું, ‘આપે અન્ય ભાષાઓમાં અનેક ગીતો ગાયાં છે. તેમાંનું આપનું પ્રિય ગીત કયું છે?”
મન્ના’દાએ એક ક્ષણના વિલંબ વિના કહ્યું, ‘ગુજરાતી ગીત, જેને ત્યાંના લોકો હેલો કહે છે.’ હેલાના વર્ણનમાં તેમણે બંગાળીમાં કહ્યું, ‘આ એવું ગીત છે, જે ગાતી વખતે મનમાં અદ્ભૂત કંપન અને ભાવના ઉત્પન્ન થતી હોય છે,’ કહી તેમણે હેલો ઉપાડ્યો!

રામદેવ પીરનો હેલો અનેક ગાયકોએ ગાયો છે. હેલો કોઈ પણ ગાયક ગાય, પણ તે સાંભળનારના હૃદયમાં કંપન જરૂર ઉત્પન્ન કરશે.  


આખ્યાયિકા મુજબ રામદેવ -ઉર્ફે રામાપીર વિષ્ણુનો અવતાર હતા. રાજસ્થાનની રણુજા રિયાસતના રાજા અજમલજીને બે પુત્રીઓ હતી, પણ કોઈ પુત્ર નહોતો. તેમની પ્રાર્થના સાંભળી વિષ્ણુએ તેમને ત્યાં રામદેવજીના સ્વરૂપે જન્મ લીધો હતો. તેમનાં બાદ નાના ભાઈ વિરમદેવનો જન્મ થયો. રામાપીરનો હેલો ગવાય તેમાં તેમના પિતા અજમલજી, માતા મિનલદેવી, ભાઈ વિરમદેવનાં નામ અચૂક આવે.

રામાપીર વિશે એવી માન્યતા છે કે સંકટમાં તેમના નામનો પોકાર કરનારા ભક્તોને સહાય કરવા તેઓ લીલા રંગની ઝાલર અને લીલા પલાણથી શણગારાયેલા ઘોડા પર બેસીને પહોંચી જાય છે. ઘોડાને દૂરથી જોનારને આ લીલો રંગ દેખાતો હોવાથી ‘લીલૂડા ઘોડલાના અસવાર’ તરીકે તેમની ઓળખાણ થવા લાગી.  અહીં રાજસ્થાની બોલીમાં ગવાતા ગીતનું વર્ઝન એટલા માટે ઉતાર્યું છે કે તેમની એક આખ્યાયિકાને નાટ્યસ્વરૂપ અપાયું છે.



***
બંગાળ…

લોકગીતોનાં ભાવની ભિનાશનો અનુભવ લેવા દૂર જવું પડતું નથી. જ્યાં જવાનું થાય ત્યાં લોકગીતો સાંભળવા મળશે. બંગાળના લોકગીતોમાં ભક્તિપંથનો ભાવ કિર્તન અને બાઉલ કવિઓની રચનાઓમાં રજુ થયો અને ગાયકોએ બન્ને પરંપરાનાં ગીતો ગંગા - પદ્મા - બ્રહ્મપુત્રના પાત્રમાં નૌકા ચલાવતા નાવિકોની ભઠિયાલી શૈલીમાં ગાયો. કિર્તનમાં વૈષ્ણવ, શાક્ત અને શૈવ પંથના અનેક ગીતો રચાયાં અને હજી ગવાય છે. આજે રજુ કરીશું કવિ ગોવિંદ અધિકારી રચિત બંગાળનું જગપ્રસિદ્ધ વૈષ્ણવ કિર્તન : વૃંદાવન વિલાસીની, રાઈ આમાદેર! વૃંદાવનમાં રાચતી અમારી રાધા!

બંગાળી અને મહારાષ્ટ્રનાં લોકગીતોમાં રાધાને ‘રાઈ’ કહેવાય છે. અહીં રજુ કરેલા કિર્તનમાં શુક (પોપટ)  અને સારિકા (મેના) વચ્ચે મીઠા ઝઘડાનો સંવાદ છે. શુક કહે છે, મારો કૃષ્ણ જ શ્રેષ્ઠ! પ્રણયના દેવ કામદેવ જેવા મદનમોહન તે અમારા કૃષ્ણ છે! જવાબમાં સારિકા કહે છે, ‘હા, પણ પ્રણય વગર કામદેવની શી કિંમત? તેમ રાધાના પ્રણયને કારણે કૃષ્ણ પ્રણયના દેવ બને છે.’ રાધા વગર પ્રેમ ક્યાં? અને પ્રણય વગર કામદેવને કોઈ અસ્તીત્વ ખરૂં? આખા કિર્તનમાં આમ કૃષ્ણ અને રાધાનાં ગુણોની તુલના કરવામાં શુક અને સારિકા વચ્ચે આ ઝઘડો ચાલતો રહે છે!
અહીં રજુ થયેલા કિર્તનનાં ગાયિકા છે અદિતી મુન્શી અને તેમને સાથ આપી રહ્યા છે મણીપુરી નૃત્યશૈલીની કોલકાતાની સંસ્થાની નર્તકીઓ. અદિતીના આખા કાર્યક્રમમાં અનેક વિશિષ્ટતાઓ છે. કોરસની ગાયિકાઓ તથા નર્તકીઓએ તન્મયતાપૂર્વક તેમના કિર્તનમાં રંગ પૂર્યાં. તેમને સાથ આપનારા વાદકોમાં સુદ્ધાં એક અદ્ભૂત સંયોગ જોવા મળશે. વિડિયોમાં મણીપુરી ઢોલક, જેને ખોલ કહેવામાં આવે છે તેનાં બે વાદકો છે. બન્નેનાં વાદનમાં એવી સુંદર એકસુત્રતા છે, જાણે બન્નેનાં આત્મા અને કલા એક ઢાંચામાંથી નીકળ્યાં હોય! હકીકત પણ એવી જ છે! આ પિતા-પુત્રીની જોડી છે! અદિતીના ગીતના સમાપનમાં પ્રસ્તુતકારે  એક વાત કહી: ‘અદિતી, આપનું કિર્તન કાન નહિ, આત્મા સાંભળતો હોય છે. રાધાની મહત્તાનું આપનું કિર્તન સાંભળી એવી અનુભૂતિ થઈ કે આજે જો રાધા જન્મ લે તો તે આપના જેવી હશે!’


આ કિર્તનનો આનંદ માણવા તેનું અંગ્રેજી ભાષાંતર નીચેની લિંકમાં આપ્યું છે:


અહીં નમૂદ કરવું જરૂરી છે કે આ વિડિયો આપણા જાણીતા સાહિત્યકાર શ્રી. હરનીશ જાનીના સૌજન્યથી પ્રાપ્ત થયો છે, જે માટે તેમનો જિપ્સી આભાર માને છે.

***

અંતમાં સાંભળીશું મહારાષ્ટ્રના સંત તુકારામનો અભંગ. ગાયિકા છે લતાદિદિ અને સંગીત આપ્યું છે વડોદરાના સંગીતકાર સ્વ. શ્રીનિવાસ ખળે સાહેબે :

कमोदिनी काय जाणें, परिमळ…

પહેલાં તેનો અર્થ જાણીએ. કુમુદના પુષ્પની સુગંધ કેવળ ભ્રમર પારખી શકે છે, ખુદ કુમુદ નહિ. તેથી ભમરો કુમદના સૌરભનો પૂરો આનંદ માણી શકે છે. એવી જ રીતે, હે પ્રભુ, આપ જાણતા નથી આપનો મહિમા કેટલો વિશાળ છે, આપની કૃપા કેટલાં મહાન છે. એ તો અમે આપની નિ:સીમ કૃપાનો લાભ લેતા રહ્યાં છીએ. ગાય લીલુંછમ ઘાસ ખાઈને દૂધ ઉત્પન્ન કરે છે તેનો તેને ખુદને કશો ઉપયોગ નથી, પણ તેનું બાળક  - વાછરડું તેની માતાનો કૃપા પ્રસાદ આરોગીને આરોગ્ય પ્રાપ્ત કરે છે. તે રીતે હે તુકારામ, છિપના ગર્ભમાં સંતાયેલા મોતીનો છિપને કશો ઉપયોગ નથી પણ તેનો આનંદ તો તેને જોનાર વ્યક્તિઓ મેળવતા હોય છે, તે તું જાણ! 

પરમાત્મા નિર્વિકાર, નિરંતર, નિ:સીમ છે. તેમની શક્તિઓ તેમણે નિસર્ગના નિયમોમાં વિખેરી છે જેનો અનુભવ અને આનંદ અમે પામર પ્રાણીઓ માણતાં હોઈ છીએ. સંત તુકારામના આ સુંદર અભંગનો આસ્વાદ લઈએ!



આવતા અંકમાં એક નવો વિષય, નવી વાત, નવી વાનગી લઈને હાજર થઈશું.

Monday, August 17, 2015

આસપાસ - ચોપાસ : કંઈક વાંચેલું, કંઈક સાંભળેલું: ૧ - સૌથી જુનો વ્યવસાય

૧. કલકત્તાની એ સાંજ:

એક જમાનામાં કલકત્તાના એસ્પ્લેનેડ મેદાનમાં લોક નાટ્ય ‘જાત્રા’ (આપણે ત્યાં થતી ભવાઈ જેવી કલા), બાઉલ ગાયકો અને લોકવાર્તા કહેનાર કલાકારો ડાયરો જમાવતા. લોકો ટોળે વળી તેમને સાંભળવા એકઠા થાય. તે દિવસે હું એક મોટા ટોળામાં સામેલ થયો અને વાર્તાકારે શરૂ કરેલી કથા એકાગ્ર ચિત્તે સાંભળવા લાગ્યો. તેણે કહેલી વાત જેવી સાંભળી તેવી જ અહીં ઉતારી છે.

"રાયબહાદુરની કલકત્તામાં આવેલી રાજબાડીના જલસાઘરમાં સંગીત રસિકો હકડેઠઠ થઈને બેઠાં હતા. પ્રસંગ જ એવો હતો. બનારસ ઘરાણાંના રાજેશ્વરીદેવીના અગ્રગણ્ય શિષ્ય પંડિત ઉમાપ્રસાદનો રાગદારીનો કાર્યક્રમ હતો. દિલ્હી, કાનપુર, મેરઠ અને લખનૌની સંગીત સભાઓમાં સુવર્ણનાં બિલ્લા જીતી આવેલા પંડિતજીનો અવાજ કસાયેલો હતો. તાલિમ પણ એટલી જ જબરજસ્ત. આજે તો જલસાઘરના ઉપરના ભાગમાં અાવેલી ગૅલેરીમાં ચિકના પડદા ગોઠવાયા હતા અને તેની પાછળ રાજબાડીની મહિલાઓ બેઠી હતી. આજનાે કાર્યક્રમ રાયબહાદુરના પાટવીપુત્ર બિનૉયબાબુના માનમાં રાખવામાં આવ્યો હતો. 

"રાયબહાદુરની સરકારમાં સારી વગ હતી. વિલાયતની અગ્રગણ્ય કંપનીઓની એજન્સીઓ તેમને મળી હતી. બિનૉયબાબુ બનારસમાં રાયબહાદુરના વ્યાપારની શાખાના સંચાલક હતા. ત્યાં જ તેમણે સ્નેહ લગ્ન કર્યાં અને પત્ની સાથે કલકત્તા પહેલી વાર આવ્યા હતા તેથી ઘરમાં ખુશીની હવા દોડી રહી હતી. 

તાનપુરાનાં તાર ઝંકારાયાં. પંડિતજીએ તેમના ધીર ગંભીર અવાજમાં ગાવાની શરૂઆત કરી. જેમ જેમ કાર્યક્રમ અાગળ વધતો ગયો, શ્રોતાઓ મંત્રમુગ્ધ થતા ગયા. કાર્યક્રમના અંતરાળ બાદ કોઈએ પંડિતજીને વિનંતી કરી : તેમનાં ગૂરૂમાતા રાજેશ્વરી દેવીની પ્રિય ‘ચીજ’ સંભળાવો! 

વિલંબીતમાં પંડિતજીએ એવી મજાની હવા બાંધી, રસિયાઓ ‘વાહ વાહ’ કરતા થાકતાં નહોતાં. ત્યાર પછી શરૂ થયો દ્રુત અને તબલાંની સંગતમાં રાગ બરાબર જામ્યો. અચાનક શું થયું કોણ જાણે, પંડિતજી સમ ચૂકી ગયા. તેમણે ફરી એક વાર તાનનાં આવર્તન ગાયાં અને - ફરીથી સમ પર આવી ન શક્યા. બધા આશ્ચર્યમાં પડી ગયા! પંડિતજીને તાનનું ફરી એક વાર આવર્તન કરવાની વિનંતી કરતાં તબલચીએ ફરી તબલાં પર થાપ મારી અને અચાનક રાણીવાસના ચીક પાછળથી તાન સંભળાઈ! રાગની બારીકીઓ રજુ કરીને ગાયિકાએ તબલાંની છેલ્લી ‘તિરકીટ ધા!’ પર તાન પૂરી કરી.

જલસાઘરમાં બેઠેલો ભદ્રગણ અવાચક થઈ ગયો. 

પંડિતજીએ રાણીવાસ તરફ જોઈ બેઉ હાથ જોડ્યાં અને બોલ્યા, “ધન્ય! ધન્ય!”

રાય બહાદુરનો ચહેરો અચાનક લાલ થયો. તેમણે પંડિતજી તરફ નજર કરી અને ઉપરના માળ પર લગાવેલા ચિક તરફ તીવ્રતાથી જોયું.

“માફ કરજો, રાય સાહેબ! આ રાગ પર આટલી માલિકી રાજેશ્વરી દેવી સિવાય ફક્ત એક જ વ્યક્તિમાં હતી. તેમનાં પુત્રી ઉમા મહેશ્વરી દેવી. તેમનાં સિવાય આટલા અધિકારથી ગાનાર અન્ય કોઈ વ્યક્તિ હોઈ જ ન શકે. દસ વર્ષના મારા શિક્ષણમાં મેં એવા કોઈ ગાયક કે ગાયિકા નહોતાં જોયાં જેમને આ રાગમાં માહિરીયત તો ઠીક, પણ તે વિશે ઊંડાણમાં માહિતી હોય. આપની રજા હોય તો હું તેમનાં દર્શન કરી શકું? તેમનાં ચરણસ્પર્શ કરીને હું ધન્ય થઈશ!”

રાય બહાદુરે તેમના વૃદ્ધ નોકરને ઉપર દોડાવ્યો. તે પાછો અાવ્યો ત્યારે તેના ચહેરા પર દુ:ખની છાયા હતી. તેણે રાય બહાદુરના કાનમાં કશું કહ્યું. લાકડીના ટેકા પર વૃદ્ધ રાય સાહેબ એકદમ ઉભા થઈ ગયા. તેમનો હાથ અને લાકડી, બન્ને ધ્રુજતાં હતા. પુત્ર તરફ જોઈ તેમણે કડક સ્વરે કહ્યુંં, “અબ્બી હાલ તેને કાઢી મૂકો. ભરી સભામાં કૂળને લાંછન લગાડતાં તેમને શરમ ન આવી? અને તમે, તમે અમારાથી આ વાત છુપાવી? એક બાઈજીની દીકરી…?”
***
વાર્તાકાર અચાનક થંભી ગયો. તેમના શ્રોતાઓ પણ વાર્તાના અંતના વિસ્મયમાંથી બહાર આવ્યા નહોતા. એક ભોળા યુવાને પૂછ્યું, “ તો શું ગાયિકા રાય સાહેબનાં પુત્રવધુ…?“ અને રોકાઈ ગયો.

“તો પછી તેમનું શું થયું?” મેં પુછ્યું.


વાર્તાકારે ટોળામાં ઉભેલા તિરછી ટોપી પહેરેલા, ગળામાં રંગીન ચટાપટાવાળું રેશમી મફલર પહેરેલા, ગલોફાંમાં પાન નાખેલ લુંગીધારી માણસ તરફ જોયું. તે મારી પાસે આવ્યો અને બોલ્યો, “સિર્ફ સો રૂપિયા! સાથે સાથે રવીંદ્ર સંગીત, રાગદારી, ગજ્જલ, ઠુમરી - જે સાંભળવું હોય તે પણ સાંભળવા મળશે.”

***
૨. આગ્રાની એ રાત...
પહેલી કથા વાંચી તેના લગભગ તે જ અરસામાં આ નવલિકા એક મરાઠી સામયિકમાં વાંચી હતી. લેખક છે મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ લેખક શ્રી. રણજીત દેસાઈ.
***
મુંબઈની એક પ્રખ્યાત પરદેશી કંપનીની શાખામાં હું મૅનેજર હતો. કામ પ્રસંગે મારે ઉત્તર ભારતના શહેરોમાં હંમેશા જવું પડતું. ઉત્તરમાં મારૂં સૌથી પ્રિય શહેર હતું આગ્રા! પહેલી વાર ગયો તે રાતે પુનમ હતી. પૂર્ણિમાની રાતમાં તાજનાં દર્શન કરવા એક અમૂલ્ય લહાવો છે જે મને તે રાત્રે મળ્યો. ત્યાર પછી જ્યારે પણ મારે ઉત્તર ભારતની સફર પર જવાનું થાય ત્યારે એવો પ્રયાસ કરતો કે અજવાળિયાંની એક રાત આગ્રામાં ગાળી શકું અને રાત્રે ચંદ્રના પ્રકાશમાં તાજના સાન્નિધ્યનો આનંદ માણી શકું.


આ વખતે શરદપુનમની રાત હતી. મિટીંગ મોડેથી પૂરી થઈ. હૉટેલ પર જઈ સ્નાન કર્યું, અને કુર્તા-પાયજામામાં હું બહાર જમવા ગયો. જમી કરીને નજીકની પાનની દુકાનમાં ગયો અને બનારસી ઝર્દાનાં મઘઈ પાનની જોડી બનાવવાનો અૉર્ડર આપ્યો. ચૌરસિયાજી ગીત ગણગણતાં મઘઈના નાજુક પત્તાં પર એવી જ નજાકતથી ચૂનો-કાથો લગાડતા હતા, ત્યાં રેશમી સાડીમાં બની ઠનીને એક સ્ત્રી આવી. પાલવ ઓઢવાની ઢબ અને તેણે કરેલા શૃંગાર પરથી તે સ્થાનિક રહેવાસી હતી અને કયા વ્યવસાયની હતી તેનો તરત અણસાર આવ્યો. મેં તેના તરફ દુર્લક્ષ્ય કર્યું, પણ ચૌરસિયાજીએ તેની તરફ આંખ મિંચકાવીને પૂછ્યું, “ક્યોં ચમેલી, પાન ખાઓગી?” 
હવે મેં તેની તરફ જોયું. યુવતીની ઉમર ચોવીસ - પચીસ સાલથી વધુ નહોતી. આંખના ખૂણામાંથી મારી તરફ તિરછી નજર ફેંકી તેણે ચૌરસિયા તરફ સ્મિત કર્યું. તેના હાસ્યમાં તેની ધવલ દંતપંક્તિ દુકાનના ફાનસના અજવાળામાં પણ ચમકી ઉઠી. આ મધુર હાસ્ય સાથે તેણે ચૌરસિયાને કહ્યું, “કોઈ ખિલાને વાલા હો તો ક્યોં નહિ, ભૈયા?” અને આંખના ખૂણામાંથી મારી તરફ મારકણી નજરે જોઈને પૂછ્યું, “ક્યા ખયાલ હૈ બાબુ, આપ ખિલાઈયેગા?” બાઈની વાણીમાં રહેલી તહેજીબ જોઈ મને ખરેખર નવાઈ લાગી. હવે મેં ચમેલી તરફ વધુ ધ્યાનપૂર્વક જોયું. તેના શ્યામ ચહેરા પર કોણ જાણે કેમ મને તેની ચરિત્રકથા અંકાયેલી લાગી. તેના હાસ્યના પડદા પાછળ એક કારૂણ્ય હતું. એક પ્રકારની અસહાયતા, લાચારી તો દેખાયાં પણ તેના વાર્તાલાપમાં તેની બુદ્ધિમતા, વિનોદી પ્રકૃતિ અને એક પ્રકારની શિષ્ટતા જણાઈ આવ્યાં - બધાં એકી સાથે. મને વિચાર આવ્યો, કોણ હતી આ અભાગિની, જેને 'આ' વ્યવસાયમાં આવવું પડ્યું હતું? 

હું પરિણીત છું અને પત્ની પર મને અત્યંત પ્રેમ છે. કોણ જાણે કેમ, આ વખતે મને ચમેલી પ્રત્યે સહાનુભૂતિની ભાવના થઈ આવી. આગ્રામાં રહીને પણ તેણે તાજમહાલ જોયો હતો કે નહિ તે વિચાર આવ્યો. વળી આજે તો પુનમની રાત હતી.

“પાન તો ખિલાઉંગા, પહલે યહ બતાઓ, ચાંદની રાતમેં કભી તાજ દેખા હૈ?” મેં પૂછ્યું.

ચમેલી ખડખડાટ હસી પડી. તેણે માથું હલાવ્યું અને તેના વાળની એક લટ તેના ગાલ પર સરકી પડી. તેણે કહ્યું, “મજાક તો નહિં કર રહે બાબુજી? હમરે પેશેમેં રાત કો ભલા કોઈ કભી તાજ દેખને તો ક્યા, કમરે કે બહાર ભી નિકલતા હૈ?”

મેં ખિસ્સામાંથી સોની નોટ કાઢીને તેને આપી અને કહ્યું, “બસ, એક કલાક મારી સાથે તાજના સાન્નિધ્યમાં બેસવાના આ પૈસા છે. આવીશ?” તે જમાનામાં સો રૂપિયા આખા મહિનાનો પગાર ગણાતો!

ચમેલી તૈયાર હતી. ઘોડાગાડી કરી અમે તાજ મહાલ જોવા ગયા. ચંદ્રના પ્રકાશમાં રૂપાના મહેલ જેવા દમકતા તાજ મહેલના ઉદ્યાનમાંની એક બેેન્ચ પર બેસી અમે તાજનાં દર્શન કરતા રહ્યા. અમારી બન્નેની વચ્ચે સારૂં એવું અંતર રાખીને હું બેઠો હતો. અત્યાર સુધી ઘોડાગાડીમાં પણ હું ચમેલીથી દૂર બેઠો હતો. અર્ધો -પોણો કલાક અમે શરદ પુનમની ચાંદનીના પ્રકાશમાં તાજનાં દર્શન અમે અપલક રીતે કરતાં રહ્યાં. મારી વાત કરૂં તો અંતરમાં એક એવી અનુભૂતિ થઈ, જાણે ચાંદનીના પ્રકાશ દ્વારા મુમતાઝ મહાલ તેના હૃદયનો સ્નેહ ઉદ્યાનમાં હાજર રહેલ બધી વ્યક્તિઓ પર વરસાવતી હતી. મને ખ્યાલ ન રહ્યો ક્યારે ચમેલીએ મારી નજીક આવી મારા ખભા પર માથું ટેકવ્યું. મારૂં તેની તરફ ધ્યાન જતાં તેનાથી દૂર ખસવા જતો હતો ત્યાં તેણે કહ્યું, “બાબુજી,રહેવા દો! પણ અમને ગલત ન સમજતા. આજ દિવસ સુધી અમે તાજને દૂરથી જોયો. કદી નજીક જવાનો મોકો ન મળ્યો. આજે ચાંદની રોશનીમાં તાજના અદ્ભૂત રૂપનાં દર્શન આટલી નજીકથી કરાવીને આપે અમારી જીંદગી પ્રત્યેની નજર બદલી નાખી છે. આજે કશું કહેવા માટે મારી પાસે શબ્દ નથી. બસ, અત્યારે ફક્ત એક ખ્વાહેશ છે : અહીં બેઠાં બેઠાં આજની રાતમાં આખી જીંદગી વિતી જાય!”

એક ઊંડો શ્વાસ લઈ તેણે મારી તરફ જોયું અને કહ્યું, "એક મહેરબાની કરશો, બાબુ સાહેબ? આપે આપેલા  પૈસા હું નહિ રાખી શકું. આપની જે ઈચ્છા હોય…”
મેં તેના તરફ જોઈ મારા હોઠ પર આંગળી મૂકી ચૂપ રહેવા નિશાની કરી. એક કલાક ત્યાં બેસી રહ્યા બાદ ઘોડાગાડી કરી અમે ચૌરસિયાની પાનની દુકાને ગયા. એ તો દુકાન બંધ કરીને ચાલ્યો ગયો હતો, પણ ચમેલીને ત્યાં ઉતારી હું મારી હૉટેલ પર ગયો. બીજા દિવસે વહેલી સવારની ટ્રેનથી મુંબઈ પાછો. 

ત્રણેક મહિના બાદ મારે પાછા આગ્રા જવાનું થયું. આ વખતે ફક્ત એક દિવસની ટ્રિપ હતી. સાંજની ટ્રેનથી મારે દિલ્હી જવાનું હતું તેથી મિટીંગ બાદ નજીકની રેસ્ટરાંમાં ભોજન પતાવી પેલી પાનની દુકાને ગયો. દુકાનદાર મને ઓળખી ગયો. આમ પણ પાનવાળાઓની સ્મરણશક્તિને દાદ આપવી જોઈએ! તેણે કહ્યું, “ક્યા નોશ ફરમાઓગે, સાહેબ? મઘઈ-જોડી, બનારસી ઝર્દા?” મેં હસીને હા કહી. હું આગળ કશું કહું તે પહેલાં તે બોલ્યો, “સાહેબ, આપે ચમેલી પર શો જાદુ કર્યો કોણ જાણે. બીજા દિવસે તે મારી પાસે આવી, અને કહ્યું, ‘ભૈયા, હું મારે વતન પાછી જઉં છું. ગઈ કાલે રાતે ચાંદનીમાં તાજનાં દર્શન કરાવીને પેલા બાબુજીએ જીવન પ્રત્યે જોવાનો મારો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. જીવનની સામાન્ય જરૂરિયાતોને પેલે પાર પરમાત્માની સૃષ્ટિમાં અને માનવ નિર્મીત કલાકૃતિમાં જે સૌંદર્ય છે તે નિરખવાની શક્તિ પેલા શરીફ માણસે મને તે રાતના બે કલાકમાં મારા શરીરને સ્પર્શ પણ કર્યા વગર આપી. ગઈ કાલ રાતની ચાંદનીમાં નહાઈને મારૂં શરીર શુદ્ધ થયું તેને હવે કલંકિત નહિ કરૂં. બસ, હવે કશાની અપેક્ષા રહી નથી,’ કહીને તે જે ગઈ, પાછી આવી નથી. બિચારી કોઈ સારા ઘરની હોય તેવું લાગ્યું. કોણ જાણે કઈ મજબુરી...?

હું કશું બોલ્યો નહિ. ચૌરસિયાજીની વાત સાંભળી મનમાં ગ્લાનિ ઉપજી. તેમને પાન-જોડી બાંધી આપવા કહી, તે લઈ હું ત્યાંથી નિકળી ગયો. એક વાત સાચી. ચમેલીને લાંબા સમય સુધી હું ભુલી ન શક્યો.


***