Saturday, January 14, 2017

આસપાસ ચોપાસ : ફિક્્કી દાળ, બળેલી રોટલી અને સેનાના જવાન

છેલ્લા કેટલાક દિવસથી સૈન્યના જવાનો દ્વારા સોશિયલ મિડિયામાં જવાનોને મળતી બળેલી રોટલી, ફિક્કી દાળ તથા તેમને થતા અન્યાય વિશે તેમની ફરિયાદ આવવા લાગી છે. 

 સૈનિકોને અપાતા કામ, તેમને મળતી સુવિધાઓનું તંત્ર અને તે અંગેની વ્યવસ્થા વિશે પૂરી માહિતી ન હોવાથી દેશના નાગરિકોને આ વિશે અનેક પ્રકારની ગેરસમજ ઉભી થાય તે સ્વાભાવિક છે.

ભારતીય સેનામાં તથા બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં જિપ્સીએ અફસર તરીકે વીસ વર્ષ સેવા બજાવી છે, તેથી આ બાબતમાં કેટલીક વાતો કહી આ બાબતનો ખુલાસો કરવાનો પ્રયત્ન કરીશ.

સૌ પ્રથમ ભારતીય સેના વિશે. 

દરેક દેશની સશસ્ત્ર સેનામાં બે મુખ્ય વિભાગ હોય છે. Arm અને Service.  

Armમાં આવે છે ઈન્ફન્ટ્રી (પાયદળ), આર્મર્ડ કોર (ટૅંક્સ), આર્ટિલરી (તોપખાનું) એન્જિનિયર્સ (જેમને અગાઉ Sappers and Miners કહેવામાં આવતા), અને કોર અૉફ સિગ્નલ્સ (સંચાર સેવા). 

બીજો વિભાગ છે Service - જેમાં વાહન, ખાદ્યાન્ન, યુનિફોર્મ, હથિયાર, દારુગોળા જેવી સામગ્રી પૂરી પાડનાર Army Service Corps તથા Army Ordnance Corps જેવા વિભાગ. આ ઉપરાંત સેનામાં આર્મી મેડિકલ કોર, કોર અૉફ ઇલેક્ટ્રીકલ અૅન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ, પાયોનિયર્સ વિગેરે જેવા વિભાગ હોય છે. દરેક વિભાગનું કામ વિશિષ્ટ પ્રકારનું હોઈ તેમાં ભરતી કરવામાં આવનાર યુવાનને ભરતીના સમયે જ કહેવામાં આવે છે કે તેને ક્યા વિભાગમાં અને ક્યા પ્રકારના કામ માટે ભરતી કરવામાં આવે છે. ત્યાર બાદ રિક્રૂટને તેની રેજીમેન્ટના ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવામાં આવે છે. 

મિલિટરીના દરેક વિભાગ (Arm કે Service)ની સંઘટના તેમની કામગિરીને અનુસાર ઘડવામાં આવે છે. આર્મની વાત કરીએ તો ઈન્ફન્ટ્રીમાં બટાલિયનમાં હેડક્વાર્ટર કંપની  ઉપરાંત ત્રણ રાઈફલ કંપની તથા એક સપોર્ટ કંપની હોય છે. દરેક  કંપનીમાં મોટા ભાગના સૈનિકો Combatants (યોદ્ધાઓ) હોય છે અને જૂજ સંખ્યામાં Non-combatants હોય છે, જેમાં નાઈ, ધોબી, રસોઈયા, સુથાર, સફાઈ કામદાર વિ. હોય છે. તેમણે તેમને અપાયેલ ક્ષેત્રમાં રહીને કામ કરવાનું હોય છે. જો કે તેમના ક્ષેત્ર પર હુમલો થાય તો તેઓ તેમનું પોતાનું સંરક્ષણ કરી શકે તે માટે તેમને પણ આમ સૈનિકની જેમ પ્રશિક્ષણ અપાતું હોય છે. બટાલિયન હેડક્વાર્ટરમાં વહીવટી કામ કરવા માટે કારકૂનો, હેડક્લાર્ક વિ. હોય છે. તેઓ કૉમ્બેટન્ટની કક્ષામાં આવે છે અને તેમને દરેકને વ્યક્તિગત હથિયાર તથા દારૂગોળો આપવામાં આવે છે, અને યુદ્ધ ક્ષેત્રમાં તેમણે પોતાના કામની સાથે યુદ્ધ માટે સાબદા રહેવું પડે છે.

સેનાના દરેક વિભાગમાં નિયુક્ત થયેલા અફસર માટે એક ‘સહાયક’ નીમવામાં આવે છે. આ એક સશસ્ત્ર સૈનિક હોય છે. સહાયકોને અગાઉ અૉર્ડર્લી કહેવામાં આવતા. શાંતિના સમયમાં અને યુદ્ધના સમયમાં તેમનું કામ જુદું જુદું હોય છે. યુદ્ધમાં તેમને ‘રનર’ની કામગિરી સોંપાય છે. રનર હંમેશા અફસરની સાથે રહે છે, અને જ્યારે લડી રહેલા સૈનિકોને વાયરલેસને બદલે મૌખિક હુકમ આપવો પડે ત્યારે આ રનર હુકમ લઈ દોડીને અફસરના હાથ નીચે કામ કરી રહેલ અધિકારીઓને હુકમ સંભળાવી પાછો તેના અફસર પાસે પહોંચે. શાંતિના સમયમાં તેનું સહાયક તરીકેનું કામ તેના અફસરનો યુનિફૉર્મ ઈસ્ત્રીબંધ રાખી, મેડલ વિ. સાથે તૈયાર કરી, તેના સરસામાનને પૉલિશ કરી રાખવાનું હોય છે. આ ઉપરાંત સરકારી કામ માટે તેને મોકલવામાં આવે તો તે પણ કરવાનું હોય છે. જો કે શાંતિના સમયમાં સહાયકનો અફસર પરિણિત હોય તો તેમના માટે બજાર-હાટ કરવા ઉપરાંત ઘરકામમાં મદદ કરવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે કપડાં ધોવા માટે કંપનીનો ધોબી, સફાઈ માટે સફાઈ કામદાર આવતા હોય છે. અમુક અપવાદ છોડીએ તો અફસરો તેમના સહાયકોનો ઘરકામ માટે બહુ ઉપયોગ કરતા નથી, પણ જે ‘અપવાદ’રૂપ અફસરો છે, તેઓ તેમના સહાયકોને લગભગ ચોવિસ કલાક on call રાખતા હોય છે અને સેવા પણ લેતા હોય છે. 

સહાયકનું કામ કરવા માટે મોટા ભાગે યોદ્ધાઓ તૈયાર હોતા નથી, પણ અનુશાસનના ડરથી તેમને આ કામ કરવું પડે છે.

***
નેપોલિયને કહ્યું હતું કે સૈન્ય તેના પેટ પર કૂચ કરે છે (Army marches on its stomach). આમાં સૈન્યની સફળતા અને ગૌરવનો સીધો સંબંધ આવે છે. સૈનિકની સખત ડ્યુટી તથા કરવો પડતો શ્રમ (જેમાં દરરોજની કસરત, પાંચ માઈલની દોડ, અઠવાડિયે - દસ દિવસે પચાસેક માઈલની પૂરા ત્રીસે’ક રતલના વજનના હથિયાર અને સામગ્રી સાથે કૂચ કરવાની પ્રવૃત્તિને કારણે તેમને દરરોજ ન્યૂનતમ ત્રણ હજાર કેલરીનું ભોજન અને પહાડી ક્ષેત્રમાં ૩૫૦૦ કૅલરીનો ખોરાક આપવામાં આવે છે. જવાનોને સંતુલિત ભોજન મળે તે માટે ફોજના ડાયેટિશિયનોએ નક્કી કરેલા પ્રમાણમાં તેમને દાળ, રોટી, લીલાં શાકભાજી, બટેટા-દૂધી-કારેલા વિ. અને ફળોનું રાશન આપવામાં આવે છે. માંસાહારી માટે અને શાકાહારી સૈનિકોને તેમની જરુરિયાત પ્રમાણે સામાન તથા મસાલા માટે નિયત કરેલી રોકડી રકમ પણ અપાય છે. આ રાશન બટાલિયનના સ્ટોર્સ અૉફિસર (ક્વાર્ટરમાસ્ટર) સૈન્યના સપ્લાય ડેપોમાંથી લાવી દરેક કંપનીના ક્વાર્ટરમાસ્ટરને વહેંચે. કંપનીના રસોઈયા રાંધીને તૈયાર કરેલું ભોજન (વહેલી સવારે મગ ભરીને ચા, સવારની કસરત કરી આવ્યા બાદ બ્રેકફાસ્ટ, લંચ, બપોરની ચા અને રાતનું ભોજન) સૈનિકોને પીરસે અથવા લડાઈના સમયે તે પૅક કરીને આગળના મોરચા પર મોકલે. 

જવાનોને બરાબર ભોજન મળે છે કે નહિ તે તપાસવા માટે દરરોજ નિયુક્ત કરવામાં આવનાર ડ્યુટી અૉફિસરે બટાલિયનના કિચનની મુલાકાત લઈ, ભોજન ટેસ્ટ કરી તેનો લેખિત રિપોર્ટ તેમના કમાંડીંગ અફસરને આપવો પડે છે. જો કે દરેક કંપનીના કમાંડર અને અન્ય અફસરો હંમેશા જવાનોના લંગરની, તેમના રહેવાસના બૅરેક કે મોરચાનું નિયમીત નિરિક્ષણ કરતા હોય છે, જેથી જવાનોની સુખાકારીની ચોકસાઈ સાધી શકાય. આ સિવાય રેજીમેન્ટના મેડિકલ અૉફિસર રસોડાના સ્ટાફની નિયમિત રીતે શારીરિક તપાસણી કરતા હોય છે, જેમાં રસોઈયાના નખ કપાયેલા અને સાફ છે તથા તેને કોઈ ચામડીનો રોગ નથી તેની નોંધ રાખતા હોય છે. 

કોઈ પણ જવાનને તેને મળતા ભોજન, કપડાં, વાર્ષિક કે આકસ્મિક રજા વિગેરે વિશે કોઈ ફરિયાદ હોય તો તેના નિવારણનો પણ સરળ વિધી નક્કી કરેલો છે. સૌથી પહેલાં સૈનિકે પોતાની ફરિયાદ તેના ઉપરી હવાલદાર દ્વારા પ્લૅટુન કમાંડર પાસે રજુ કરી તેનું નિવારણ કરવા માટે માગણી કરવાની હોય છે. પ્લૅટુન કમાંડર સૈનિકની ફરિયાદ કંપની કમાંડર પાસે રજુ કરી સૈનિકની મુલાકાત માટે વ્યવસ્થા કરે.  આવી મુલાકાતને ‘અૉર્ડર્લી રૂમ’ કહેવામાં આવે છે. ફરિયાદને સંબંધિત રજિસ્ટરમાં નોંધી લેવામાં આવે છે અને તે બાબતમાં અફસરે શો નિર્ણય આપ્યો છે તે પણ નોંધવામાં આવે છે. જો ફરિયાદીને આ નિર્ણયથી સંતોષ ન થાય તો તે બટાલિયન કમાંડરનો ઈન્ટરવ્યૂ માગી શકે છે. 

દર મહિને કમાંડીંગ અફસર બટાલિયનના સઘળા સૈનિકો માટે ‘સૈનિક સમ્મેલન’ યોજે છે, જેમાં કોઈ પણ સૈનિક રેજીમેન્ટને લગતા (ભોજન, સ્વાસ્થ્ય, વાર્ષિક રજા) કે તેની અંગત સમસ્યા વિશે સીઓ પાસે રજુઆત કરી શકે છે અને સીઓ તે અંગે કાર્યવાહી કરતા હોય છે.

ભારતમાં કંપની સરકારના સમયથી અંગ્રેજ અધિકારીઓએ ભારતીય સેનામાં દેશી સૈનિકોની મુશ્કેલીઓ જાણવા અને તે દૂર કરવાએક ખાસ વ્યવસ્થા કરી હતી : તેમણે તેમની બટાલિયન કે રેજિમેન્ટમાં એક વિશિષ્ટ હોદ્દો બનાવ્યો હતો. પાયદળ-તોપખાનામાં સુબેદાર મેજર અને રિસાલાઓમાં રિસાલદાર મેજર. આ હોદ્દા પર સૌથી સિનિયર દેશી અફસરની નીમણૂંક થતી. પલ્ટનના નાનામાં નાના હોદ્દા પરના સૈનિકથી માંડી ઉપર સુધીના દેશી અફસરની મુશ્કેલી, ફરિયાદ કે અસંતોષ વિશે જાણકારી મેળવી કમાંડીંગ અફસર સુધી પહોંચાડે, જેથી પલ્ટનમાં ઉપસ્થિત થનારી કોઈ પણ સમસ્યાનો નિકાલ જડમૂળથી થઈ શકે. આ વ્યવસ્થા હજી પણ  ભારતીય સેનામાં ચાલુ છે. (આ વિશે આપે 'ડાયરી'માં પ્રકાશિત થયેલ નવલકથા 'પરિક્રમા'માં વાંચ્યું હશે.)

ભારતના અર્ધલશ્કરી દળ - BSF, CRPF, SSBનું ગઠન (organization) થોડા ઘણા ફેરફાર સાથે ભારતીય સેનાના ધોરણ જેવું યોજાયું છે. મૂળભૂત ફેર એ છે કે આવા અર્ધલશ્કરી દળોના મોટા ભાગના ડીઆઈજી, ઈન્સ્પેક્ટર જનરલ અને સૌથી વડા ડાયરેક્ટર જનરલના પદ પર IPS અફસરોની ડેપ્યુટેશન પર નીમણૂંક થતી હોય છે, જ્યારે ભારતીય સેનામાં કેવળ અને કેવળ સેનાના અફસરો જ નીમાય છે. પરિણામે જેને સંસ્થા અને તેના સૈનિકો પ્રત્યેની નિષ્ઠા - commitment કહેવાય તે કયા દળમાં પ્રમુખતાથી જોવા મળે છે તેનો અંદાજ સહેલાઈથી આવી શકે. 

પ્રશ્ન થશે, આવી સુંદર વ્યવસ્થા હોવા છતાં સોશિયલ મિડિયામાં બીએસએફના તેજ બહાદુર યાદવ અને ભારતીય સેનાના લાન્સ નાયક યજ્ઞપ્રતાપસિંહ જેવાઓની વિતકનો આટલો મોટા પાયા પર હોબાળો કેવી રીતે થયો? 

***

ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોના કાયદાઓ (Army Act તથા BSF Act and Rules)માં લેખિત આદેશ છે કે કોઈ પણ સેવારત કે નિવૃત્ત સૈનિક કે અફસર જાહેર માધ્યમ કે અખબારોમાં ખાતાની લેખિત મંજુરી સિવાય કોઈ ઈન્ટરવ્યુ ન આપી શકે કે ન કોઈ લેખ પ્રસિદ્ધ કરી શકે. સોશિયલ મિડિયાના પ્રાદુર્ભાવ પછી Orkut, Face Book, Twitter જેવા ફોરમમાં સૈન્યના અફસરો તથા અન્ય હોદ્દાના સભ્યો જોડાયા. આનો ફેલાવો એટલી હદ સુધી થઈ ગયો કે યોગ્ય ખાતાઓ તેની નોંધ લે ત્યાં સુધીમાં ભારે સંખ્યામાં સૈનિકો આવા ગ્રૂપમાં જોડાઈ ગયા. સમય જતાં લગભગ સઘળા સૈનિકોની પાસે સ્માર્ટફોન આવ્યા અને જે તે એકબીજા સાથે સમ્પર્કમાં આવવા લાગ્યા. આની જાહેર મિડિયા પર આવતા સમાચાર, ચર્ચા અને જાહેર જનતામાં સૈન્ય વિશેના કુતૂહલની અસર તથા તેને જાહેર જનતા તરફથી મળતા પ્રતિસાદની શક્તિનો ખ્યાલ સૈનિકોને આવ્યો. તેઓ તેનો ઉપયોગ કરશે તેની શંકા સુદ્ધાં સેના પ્રમુખોને ન આવી. 

આવતા અંકમાં આપણે હાલમાં ચાલી રહેલી ચર્ચાનું વિશ્લેષણ કરીશું.




No comments:

Post a Comment